સંબંધોનું મૅનેજમેન્ટ – સૌરભ શાહ
* માબાપ સહિત સહુ કોઈને તમે લાખોમાં એક હો તો બહુ ગમે. પણ ખરેખર તમે જ્યારે લાખોમાં એક બનવાનો પ્રયત્ન શરૂ કરો છો ત્યારે તેઓ કહેઃ `આવું તે કંઈ થતું હશે?’ આનો ગર્ભિત અર્થ એવો થયો કે બાકીના 99,999 લોકો જેવું જ તમારે વિચારવું, અનુભવવું અને કરવું.
* તમને ખબર હોય છે કે સાચા મિત્રો મૈત્રીના આ સંબંધને આવરી લેતા પ્રદેશમાં જે કંઈ કરે છે તેની પાછળનો આશય એકદમ શુભ છે, અને જે કંઈ નથી કરતા તેની પાછળનાં કારણો તદ્દન દોષરહિત છે.
* જીવનમાંથી કોઈક સંબંધની બાદબાકી થઈ જશે કે કોઈક સંબંધ નહીં ઉમેરાય તો જીવન અધૂરું રહી જશે એવી અસલામતીથી પીડાતા લોકો એ સંબંધ સિવાયના એમના જીવનના બાકીના હિસ્સામાંથી મળતા આનંદને માણવાનું ગુમાવી બેસે છે.
* આસપાસની દુનિયામાં બધા જ ખરાબ છે અને મારા કરતાં ઉતરતા છે, મારા વિચારો સાથે બંધ બેસે એવું આ દુનિયામાં કોઈ નથી એમ વિચાર્યા કરવાથી માણસનું પોતાનું અસ્તિત્વ એક તબક્કે ખાબોચિયા જેવું બની જવાનું.
* તમારા નિર્ણયોનું પરિણામ તમારા પોતાના માટે કે બીજાઓ માટે ખોટું આવી શકે. પણ નિર્ણય પોતે સ્વતંત્રપણે ખોટો નથી હોતો. એ લેવાયો હોય ત્યારે લેનારની દાનત પોતાના પૂરતી તો શુભ જ હોવાની.
* કેટલી વિચિત્ર વાત છે કે આજે અને અત્યારે તમને જે વ્યક્તિ ગમતી હોય તે વ્યક્તિનું વ્યક્તિત્વ એના ભૂતકાળને કારણે ઘડાયું છે એવું સમજવા છતાં એના અતીતની ભૂલો તમને કઠતી હોય છે.
* કેટલાક દુશ્મનો પોતાની દુશ્મીનું કૃત્ય ઉઘાડું ન પડી જાય એ માટે તમારું નુકસાન કરી લીધા પછી માફી માગી લે છે. પણ નુકસાન તો થઈ જ ગયું હોય છે.
* બીજાઓ પાસે માન મેળવ્યા કરવાની ઇચ્છા સંતોષવા જતાં તમે એમને તમારું અપમાન કરવાનો હક્ક આપી દો છો.
* પ્રશંસા મેળવવાની જેમને ટેવ પડી ગઈ છે તેઓ ટીકાથી ગભરાતા હોય છે.
* કઈ વ્યક્તિ સાથે કેવું બને એનો આધાર માત્ર નસીબ નથી.
લેખક વિષે…
ગુજરાતી ભાષાના ધ મોસ્ટ પ્રોલિફિક રાઇટર સૌરભ શાહે `મુંબઈ સમાચાર’ની ડેઇલી કૉલમ `ગુડ મોર્નિંગ’થી અને `સંદેશ’ની બે સાપ્તાહિક કૉલમો `તડકભડક’ અને `લાઉડમાઉથ’થી લાખો ગુજરાતી વાચકોને પોતાની કલમના એડિક્ટ બનાવી દીધા છે.
પોતે કૉલેજ ડ્રોપઆઉટ છે. પહેલાં કૉમર્સ કૉલેજમાં અને પછી આર્ટ્સ કૉલેજમાં અધૂરુંઅધુરું ભણ્યા હોવાથી પોતાને ડબલ અન્ડરગ્રેજ્યુએટ કહેવડાવે છે. અઢાર વર્ષની ઉંમરે ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં ઍક્ટિવ થઈ ગયા. પચ્ચીસ વર્ષની ઉંમરે પહેલી નવલકથા `વેરવૈભવ’ હરકિસન મહેતાના હાથ નીચે `ચિત્રલેખા’માં લખી. એમની તાજેતરની પુરસ્કૃત નવલકથા `મહારાજ’એ વાચકો-સર્જકો-વિવેચકોને હલાવી નાખ્યા છે.
સૌરભ શાહની ભાષા ગુજરાતી પત્રકારત્વ-સાહિત્યમાં ઘુસી ગયેલા છિછરાપણાથી તેમજ બનાવટી ધીરગંભીરપણાથી ખૂબ દૂર એવી લાઇટ અને લાઇવલી છે. ક્યારેક શૉર્ટ અને સ્વીટ પોએટિક ટ્રીટમેન્ટ તો ક્યારેક તેજાબમાં બોળીને લખાતી, વિચારોની સ્પષ્ટતા તથા દૂરંદેશીપણું પ્રગટ કરતી અભિવ્યક્તિ તથા ક્યારેક શાર્પ સેન્સ ઑફ હ્યુમર સૌરભ શાહની કલમની આઇડેન્ટિટી છે. લખવા ઉપરાંત તેઓ પોતાના ઘરમાં થતી જાતે બનાવેલી પાણીપુરી-ભેળપુરી-સેવપુરીની પાર્ટીઓ માટે પણ ફૅમસ છે. ખાવાનું બનાવવું અને જમાડવું એમની પૅશન છે.
સૌરભ શાહના પોતાના શબ્દોમાં કહીએ તો, `જિંદગી આખી એક ચમત્કાર લાગે એમ ઉપરવાળો આશ્ચર્યચિહ્નોનો વરસાદ વરસાવ્યા કરે છે.’ અનુવાદો સૌરભ શાહ પોતાની મોજ અને પોતાના શોખ માટે કરે છે. એમણે મારિયો પૂઝોની લેજેન્ડરી નવલકથા `ગૉડફાધર’નું ઑફિશ્યલ ટ્રાન્સલેશન કર્યું છે. નરેન્દ્ર મોદી, આર. ડી. બર્મન અને ઍન્ટિક્વિટીના ચાર કડક પેગના જબરા શોખી સૌરભ શાહ મુંબઈ પોતાની ગર્લફ્રૅન્ડ જોડે લિવિંગ ઇન રિલેશનશીપમાં રહે છે.
Be the first to review “Sambandho Nu Management”
You must be logged in to post a review.