ભૂંસાતાં
રામચિત્રો
દ્વૈત અને દ્વંદ્વમાંથી જન્મતી વેદના
મણિલાલ કંઈ આ ચિત્રોના આલેખક માત્ર નથી, એ પોતે આ ચિત્રોમાં ઉપસ્થિત છે – એના રૂપરંગ કે રેખામાં, અસ્તિત્વરૂપે; પરંતુ આજે એમાંથી એ ઉતરડાઈ ગયા છે. એ જુએ છે કે એ ચિત્રો પણ ભૂંસાઈ રહ્યાં છે. આ દૃષ્ટિ સામેની પરિસ્થિતિ છે, પરંતુ મનની સ્થિતિ કંઈ જુદી છે. ત્યાં તો આજેય આ ચિત્રો અકબંધ છે. મણિલાલ એની વાત માંડે છે – આપણને એની ઓળખાણ આપતા હોય એ રીતે અને પછી પોતે હળવેક રહીને એ સૃષ્ટિમાં સરી પડે છે. વાત માંડવાની એમની રીત રસિક અને એમણે માંડેલી વાત આપણા માટે કૌતુકરસિક, એટલે આપણેય એમની સાથે ને સાથે…
અહીં પરિવેશ મુખ્ય છે, આ બધી વ્યક્તિઓનાં પાત્રો-કેરેક્ટર્સ – પણ એ પરિવેશનો એક હિસ્સો છે. આ પરિવેશમાંથી જ આપણે ‘ભળભાંખળા’ (કે અન્ય ચિત્રો)નો સાચો અર્થ પામીએ છીએ. આ ગ્રામસૃષ્ટિ અને કૃષિસૃષ્ટિ એકમેક સાથે જોડાયેલાં છે. સીમ અને શેઢો, ધરુવાડિયું અને ખળું… એમ આપણે સીધા ઘરના વાડામાં આવી પહોંચીએ છીએ, અહીં પ્રકૃતિ, સમાજ અને સંસ્કૃતિ કેવાં એકમેકની ઓથે જીવે છે તેની પ્રતીતિ આપણને થાય છે. આ સૃષ્ટિને જેમ આવા તળપદા સંસ્કારોનો સંદર્ભ છે તેમ તેનાં અસલ જીવનમૂલ્યોનો સંદર્ભ પણ છે. આ વાસ્તવિક સૃષ્ટિ જાણે ભાવસૃષ્ટિમાં રૂપાંતર પામી છે. સ્મૃતિમાં આમોદ અને સ્થિતિમાં વિષાદ. આ દ્વૈત અને દ્વંદ્વજન્ય વેદના એ આ ગ્રામચિત્રોની ભોંય છે.
ભાષામાં સહેજ જણાતો બોલીનો પ્રયોગ અને કૃષિસંબંધિત લાક્ષણિક શબ્દોનો પ્રયોગ તથા કથનશૈલીને ઉપકારક ગદ્યની તળપદી લઢણ અનેક જગાએ કાવ્યાત્મક બને છે, જે આ વિશિષ્ટ નિબંધોના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. આપણી ભાષાની જૂની મૂડી એમાં સચવાઈ છે.
– ધીરેન્દ્ર મહેતા
Be the first to review “Bhunsatan Gramchitro”
You must be logged in to post a review.